રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ : રૂપાલાના ટેકામાં આજે રાજકોટમાં પાટીદારોની બેઠક, મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓ હાજર રહેશે,
પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. રૂપાલાએ ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે. ત્યારે રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાનમાં આવ્યા છે. રાજકોટમાં આજે પાટીદારોની મોટી સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના છેવાડાના શાપરમાં એક પાટીદાર આગેવાનની ફેક્ટરીમાં હાલ સાંજની બેઠકની રૂપરેખા તૈયાર કરવા બેઠક ચાલી રહી છે. હજુ પણ સમાજે સાંજની સભાના સ્થળ અને કયા આગેવાનો આવશે તે અંગે મૌન સેવ્યું છે. આ બેઠકમાં રાજકીય પક્ષોના નેતાઓ જોડાશે કે કેમ તે જોવું રહ્યું. હાલ ભાજપના નેતાઓની દિલ્હી તરફની અવરજવર શરૂ થઈ ગઈ છે.
રાજ્યમાં રૂપાલાની બદલી કરવાની ક્ષત્રિય સમાજની માંગ પ્રબળ બની છે, હાલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરામાં જોરદાર દેખાવો થવા લાગ્યા છે. રૂપાલા રાજકોટમાં રહેશે કે નહીં તે મુદ્દે મંથન શરૂ થયું છે, આજે ભાજપે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસો તેજ કર્યા, ગાંધીનગરમાં પાટીલના નિવાસસ્થાને આજે મુખ્યમંત્રી અને પાટીલની આગેવાનીમાં બેઠક શરૂ થઈ છે.
રૂપાલાને હટાવવા કે નહીં તે મુદ્દે સીએમ પટેલના ઘરે બેઠક મળી છે, જેમાં ચાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ભાજપની પ્રાથમિકતા ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાની છે. મુંઝવણ ઉકેલવા મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ મેદાનમાં આવ્યા છે. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય આગેવાન સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બોલાવવામાં આવ્યા છે, આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ પણ હાજર છે. આઈ.કે.જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહેલ. બેઠકમાં જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ હાજર છે. ક્ષત્રિયોનો આક્રોશ કઈ રીતે ઘટાડી શકાય તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. આ બેઠક માટે મુખ્યમંત્રીએ આજે નર્મદાનો કાર્યક્રમ પણ રદ કર્યો છે. દિલ્હીથી નિર્દેશ મળ્યા બાદ આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે.