ખેડૂતો આનંદો….જલદી બેસશે ચોમાસું, કેરળમાં 24 કલાકમાં થશે પધારામણી,
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીના કારણે લોકોની હાલત કફોડી, ગરમીના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગામી 24 કલાકમાં કેરળના દરિયાકાંઠે ટકરાશે. જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોને થોડા દિવસોમાં રાહત મળવા લાગશે અને ત્યારપછી મધ્ય અને ઉત્તર ભારતમાં પણ આગામી થોડા અઠવાડિયામાં આકરી ગરમીથી રાહત મળશે. બુધવારે હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે. જે અત્યાર સુધી માલદીવની આસપાસ હતું. કેરળ બાદ ચોમાસું પૂર્વોત્તર રાજ્યો તરફ આગળ વધશે.
હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોને પણ રાહતના સમાચાર આપ્યા છે જેઓ દુષ્કાળની ઝપેટમાં છે. હવામાન વિભાગનું કહેવું છે કે લૂની અસર 30 મેથી ઓછી થવાનું શરૂ થશે. ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં વરસાદની અપેક્ષા છે. આ સિવાય સિક્કિમ અને બંગાળમાં પણ હવામાન બદલાશે. ગુરુવારથી આ રાજ્યોમાં હવામાન બદલાવા લાગશે અને આગામી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે.
એવી આગાહી કરવામાં આવી છે કે 31 મેથી 2 જૂનની વચ્ચે ગંગા તટીય બંગાળ, ઝારખંડ, બિહાર તેમજ ઓડિશામાં વરસાદ પડશે. આ રાજ્યોમાં કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરના ઉત્તર ભારતીય રાજ્યોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. નોંધનીય છે કે દિલ્હી એનસીઆર, રાજસ્થાન અને યુપી સહિત દેશના ઘણા રાજ્યોમાં તાપમાન 50 ડિગ્રીની ઉપર પહોંચી રહ્યું છે. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.